માંડલમાં ગત ગુરૂવારે ખાબકેલાં અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલાં પાણીને લઈ વોકળાની બાજુમાં એપીએમસી પણ હોવાથી કેડસમાણા પાણી ફરી વળ્યાં હતાં. જેને પગલે કેટલાંક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ફરી વળ્યાં હતાં. વરસાદ રવિવારે રોકાયો તેમ છતાં માર્કેટયાર્ડના વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. છેલ્લાં ચારેક દિવસથી હરાજી, વેપારીઓની દુકાનો અને એપીએમસી સહિતની ઓફિસ સહિતનો કારોબાર ઠપ્પ થયો છે. વોકળામાં આવેલ ધસમસતાં પાણીના વહેણથી નગરમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ, ત્યારે એપીએમસીમાં પણ પાણી ભરાયાં હતાં જોકે હવે પાણી ઓસરતાં વેપારીઓનો મોટાપાયે મોલ પલળતાં ભારે નુકશાનની આશંકાઓ સેવાઈ રહી છે. રવિવારે વેપારીઓએ નીચે પડેલ માલ પલડયો જેને ખસેડવા અને જે વરસાદી પાણીમાં નથી પલડયો એવા માલને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. કેટલીક દુકાનોમાં જીરાં,ઘઉં,ચણાં અને અજમો સહિતના જણસો પલડવાથી બગડયાં છે આ સાથે એપીએમસીના વેપારીઓએ વ્યાપક નુકશાન થયું હોવાનું જણાવ્યું અને પોતાની વેદના વ્યક્ત કરતાં સરકારને સહાય આપવાની પણ માંગ કરી છે.
