ખેડૂતોના વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી રસ્તા રોકો આંદોલન કરવાનું આહવાન કરાયું હતું. જેના ભાગરૂપે જિલ્લા ગ્રામ્યમાં દેત્રોજ ચાર રસ્તા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હતું. કાર્યકરોએ દેત્રોજ ચાર રસ્તા ઉપર વાહનો રોકીને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી ખેડૂતોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી. દરમિયાન રસ્તા ઉપર થોડા સમય માટે વાહન વ્યવહારને પણ અસર પહોંચવા પામી હતી. આંદોલનને ધ્યાને રાખી દેત્રોજ પોલીસ દ્વારા મંગળવારે સવારથી જ તાલુકાના મોટાભાગના આગેવાનોની તેમના ઘરેથી જ અટકાયત કરી લેવાઈ હતી. પોલીસની કાર્યવાહી બાદ પણ અન્ય કાર્યકરો, અગ્રણીઓએ રસ્તા ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, પાકના યોગ્ય ભાવો, સિંચાઈ અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરાઈ છતાં યોગ્ય કાર્યવાહી કરાતી નથી.
