માણસા અને ગાંધીનગર તાલુકાને જોડતો સાદરા અને અલુવા પૂલના લોકાર્પણની ઘડીઓ ગણાય રહી છે. અંદાજે 60 કરોડના ખર્ચે આધુનિક ટેક્નોલોજીથી આ પૂલ બનાવવામાં આવ્યો છે. આ પૂલના લોકાર્પણની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. આ પૂલના કારણે બંને તાલુકાના હજારો લોકોને સીધો ફાયદો થશે તેવું જણાવાય રહ્યું છે. એટલું જ નહિ 25 વર્ષથી લોકોની માંગ હતી જે હવે પૂર્ણ થવા જઈ રહી છે. આગામી 21 જુલાઈના રોજ મહત્વના આ પૂલનું લોકાર્પણ થનાર છે તેવા અહેવાલ સાંપડી રહ્યા છે.

ગાંધીનગર અને માણસા તાલુકાને જોડતો સાદરા - અલુવા પૂલ બનીને તૈયાર થઈ ગયો છે. બે તાલુકાઓને જોડતો આ પૂલ ખૂલ્લો મૂકાશે તે સાથે જ હજારો લોકોને રાહત થશે. કારણકે હાલમાં વાહનચાલકોને અંદાજે 25 કિમી લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે. પરંતુ આ પૂલના લોકાર્પણથી આટલું લાંબુ અંતર કાપવું નહી પડે. જેના કારણે સમય અને ઈંધણની બચત થશે. પરિવહન ખર્ચમાં નોંધનીય ઘટાડો થશે. દૈનિક અવરજવર સરળ બનશે. છેલ્લા ઘણા સમયથી આ પૂલના લોકાર્પણને લઈને અનેક સવાલો ઉઠયા હતા. આ પૂલ શરૂ થવાથી દહેગામ, માણસા, ચિલોડા, કપડવંજ, સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તાર વચ્ચેનું અંતર પણ ઘટી જશે. વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતાં લોકો માટે આ પૂલ અત્યંત લાભદાયી સાબિત થશે. ચોમાસા પૂર્વે પૂલના લોકાર્પણની માંગ હતી. કારણકે લોકો 25 થી 30 કિમી લાંબુ ચક્કર ન કાપવું પડે તે માટે કાચા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ચોમાસામાં આ કાચો રસ્તો જોખમી બની જાય છે. જેને લઈ ઝડપથી હવે આ પૂલને ખૂલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા.

અગાઉ સાદરા - અલુવા પૂલના નિર્માણની જાહેરાત કરાયા બાદ ક્યાંય સુધી પ્રોજેક્ટ કાગળ પર જ રહ્યો હતો. આ પૂલ બનાવાશે કે નહિ તેને લઈને લોકોના મનમાં અનેક શંકાઓ હતી. ગ્રામજનોના મનમાં અનેક પ્રશ્નો મંડરાઈ રહ્યા હતા. કારણકે બે તાલુકાઓને જોડતો આ પૂલ ખૂબ જ મહત્વનો છે. આ પૂલના કારણે હવે ગાંધીનગર અને માણસા તાલુકા વચ્ચેનું અંતર બિલકુલ ઘટી જશે. માત્ર આ એક પૂલ બે તાલુકાને નજદીક લાવી દેશે. પ્રાપ્ત વિગતમાં પૂલના નિર્માણમાં વાહનવ્યવહાર ઉપરાંત રાહદારીઓ માટે અલગ વોકવેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી લોકો સુરક્ષિત રીતે પૂલ પર અવરજવર કરી શકશે. સૌથી મહત્વમાં આ પૂલ કાર્યરત થવાથી માણસા વિસ્તારના વેપાર-ઉદ્યોગને નવો વેગ મળશે, નવી તકો મળશે. ખેડૂતો માટે તો આ પૂલ એક આશીર્વાદરૂપ સાબિત થશે. ગાંધીનગર તાલુકાના ખેડૂતો આ પૂલ થકી ખૂબ જ ઓછા ખર્ચે પોતાનું ઉત્પાદન માણસા માર્કેટ યાર્ડ સુધી પહોંચાડી શકશે. સ્થાનિકોની 25 વર્ષ જૂની માંગણી હતી. સાદરા-અલુવાને જોડતો પૂલ બનાવવા માટે અઢી દાયકાથી લોકો રજુઆત કરી રહ્યા હતા. સાદરા ખાતે જક્ષિણી માતાનું મંદિર આવેલું છે. જ્યાં ધાર્મિક તહેવારોમાં લોકમેળો યોજાય છે. આ મંદિરનો મહિમા છે. અહીં વિવિધ સમાજના લોકો પોતાના બાળકોની બાબરી ઉતારવા આવે છે. તે રીતે સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ પૂલ મહત્વનો સાબિત થશે. આ પૂલ સાદરા, અલુવા, માણસા તથા આસપાસના વિસ્તારના અનેક લોકો માટે આશીર્વાદરૂપ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો