મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું પાન્છા ગામ હવે વ્યસનમુક્તિ અને વિકાસની નવી રાહ ચીંધી રહ્યું છે.


તાજેતરમાં ગામમાં યોજાયેલી રાત્રી ગ્રામસભામાં ગ્રામજનોએ એકમતે દારૂબંધીને લઈને અત્યંત કડક અને અનોખા નિયમો અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.

પાન્છા ગામમાં હવે જો કોઈ વ્યક્તિ દારૂ પીને ફરતો પકડાશે, તો તેને સીધો પોલીસને સોંપવાને બદલે ગામની વચ્ચે નવું પાંજરૂ બનાવી પાંજરામાં 12 કલાક સુધી પૂરી રાખવામાં આવશે. અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવશે. આ પાંજરામાં પુરાયેલી વ્યક્તિને આખું ગામ જોઈ શકશે, જે એક પ્રકારનો સામાજિક બહિષ્કાર અને શિખામણ બની રહેશે. ત્યારબાદ જ પંચાયત દ્વારા તેને પોલીસના હવાલે કરવામાં આવશે.

ગામના સામાજિક આગેવાન વિનુભાઈ ચૌધરી અને સરપંચ પતિ કપીલભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ ગામના બે થી ત્રણ આશાસ્પદ યુવાનોના દારૂના વ્યસનને કારણે મોત નીપજ્યા હતા. આ ઘટનાઓથી ગામમાં ભારે શોક અને રોષ જોવા મળ્યો હતો. પરિવારો બરબાદ થતા અટકાવવા માટે મહિલાઓ, વડીલો અને યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી દારૂબંધી માટે આ કડક કાયદો બનાવ્યો છે. ખાસ વાત એ છે કે, આ પાંજરું બનાવવા માટે ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકફળો પણ આપ્યો છે. અમારું લક્ષ્ય પાન્છા ગામને સંપૂર્ણ દારૂમુક્ત અને આદર્શ ગામ બનાવવાનું છે. ગ્રામજનોના સાથ-સહકારથી અમે વ્યસન સામે જંગ છેડયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: