મહેસાણા તાલુકાના પાલોદર ખાતે દોઢ વર્ષ પૂર્વે પરણીતાને મારઝૂડ કરીને માથામાં પાટલી મારી મોતને ઘાટ ઉતારી દેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી પતિને મહેસાણા સેશન્સ કોર્ટે ગુનેગાર ઠેરવી સજા સંભળાવી હતી.આરોપી પતિને કોર્ટે આજીવન સખત કેદ અને રૂ.5000 દંડની સજા ફ્ટકારતા ફરિયાદ પક્ષમા ન્યાય મળ્યાનો આનંદ છવાયો હતો.


મહેસાણાના પાલોદર ખાતે રહેતા લાલાજી ઈશ્વરજી ઠાકોર તેમની પત્નિ જશોદાબેન ઠાકોરને અવાર નવાર મારઝૂડ કરતા હતા.તો 22મી સપ્ટેમ્બર 2023ની રાત્રે પતિ લાલાજી ઠાકોરે પત્નિ જશોદાબેન ઠાકોરને મારઝૂડ કરી હતી, તો તે દરમિયાન પત્નિ જશોદાબેનને માથામાં પાટલી મારી મોતને ઘાટ ઉતારી હતી. આ અંગેની મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

સદર કેસ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરતભાઇ જી. પટેલની દલીલો અને પુરાવા આધારે મહેસાણા સેશન્સ કોર્ટ જજ જે.આર.શાહે આ કેસના આરોપી પતિ લાલાજી ઈશ્વરજી ઠાકોરને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદ અને રૂ.5000 દંડની સજાનો હુકમ કર્યો હતો.

કોર્ટ સમક્ષ 48 દસ્તાવેજી પુરાવા, 20 સાક્ષીઓ તપાસાયા

આ કેસમાં આરોપી પતિને કડકમા કડક સજા થાય તે માટે સરકારી વકીલ ભરતભાઇ જી.પટેલે કોર્ટ સમક્ષ 48 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા, તો 20 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા.કોર્ટે પુરાવા આધારે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: