મહેસાણા જિલ્લાના કડી APMC ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત કડી પહોંચેલા નીતિન પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પક્ષની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી 45 દિવસમાં 10 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની મોટી જવાબદારી પક્ષે સોંપી છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને નીતિન પટેલનું નિવેદન

નીતિન પટેલે ટિકિટ વિતરણના માપદંડો અંગે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું હતું કે, "મારો માણસ હોય એટલે સારો એવું નહીં, પરંતુ જે સારો કાર્યકર છે તે જ મારો માણસ છે" તે મંત્ર સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પક્ષ પ્રત્યે વફાદાર, નિષ્ઠાવાન અને સમાજમાં સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને જ ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક મળશે. કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલા કે ખરાબ પ્રતિષ્ઠા ધરાવતા લોકોને ટિકિટ નહીં મળે તેવો તેમણે પક્ષ વતી મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ખરાબ છબી ધરાવતા લોકોને ટિકિટ નહિ મળે તેવો સ્પષ્ટ સંકેત

ગુજરાતમાં આગામી સમયમાં અંદાજે 80 ટકા જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં બેઠકો માટે યોગ્ય અને સક્ષમ ઉમેદવારો શોધવા એ એક પડકાર છે, પરંતુ નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પક્ષના પાયાના કાર્યકરોની મહેનત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોના જોરે ભાજપ ફરી એકવાર ભવ્ય વિજય મેળવશે. કડીમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: