અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે દુર્ઘટના સામે આવી હતી. જેમાં રક્ષાબંધન પર્વે બહેન તેમજ ભાણેજ સહિતના ભાઇના ઘેર આવેલા હતા. તેઓ રાત્રે ઉપરના માળે સૂતા હતા ત્યારે કાચા મકાનનો ઉપરના માળનો સ્લેબ તૂટીને નીચે પડયો હતો. જેમાં તમામને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.સ્થાનિક સૂત્રો મુજબ, મોડાસાના સગરવાડામાં હર્ષદભાઈ ભાવસાર પરિવાર સાથે રહે છે. પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હર્ષદભાઈના ઘરે તેમના બહેન અને ભાણેજ રાખડી બાંધવા માટે આવ્યા હતા. રાત્રિના સમયે બધા પરિવારજનો સુતા હતા. કાચા મકાનના ઉપરના માળે ચાર વ્યક્તિ સૂતા હતા. દરમિયાનમાં રક્ષાબંધન પર્વની આગલી રાત્રે લગભગ 12:30 વાગે અચાનક જ ઉપરના માળનો સ્લેબ તૂટી પડયો હતો જ્યાં બહેન અને ભાણેજ સહિત ચાર વ્યક્તિઓ સુતેલા હતા. જેઓ સ્લેબ તૂટવાની સાથે જ નીચે જઇને પડયા હતા. બીજી તરફ્ નીચેના મકાનમાં સુતેલા અન્ય ત્રણ વ્યક્તિઓની ઉપર સ્લેબ પડતાં તેઓ પણ કાટમાળ નીચે દબાયા હતા. આ દુર્ઘટનામાં તમામ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિકો અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચેથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આટલી ગંભીર ઘટના બનવા છતાં કોઈ જાનહાની થઈ ન હતી.
