મોરબી શહેરમાં વ્યાજખોરીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધંધાકીય જરૂરિયાત માટે લીધેલા માત્ર 11 લાખ રૂપિયાના બદલે વ્યાજખોરોએ 2.43 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આટલી માતબર રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નથી અને ફરિયાદીને પાયમાલ કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે.


મોરબીમાં વ્યાજખોરોનો આતંક

ફરિયાદી સુરેશભાઈ ભાડજાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે રમેશ ભાલોડીયા અને અશ્વિન ભાલોડીયા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2023માં સુરેશભાઈને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઊભી થતા તેમણે આ બંને શખ્સો પાસેથી 11 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ પૈસા પર અઠવાડિયે અને મહિને 5 ટકા જેવું તોતિંગ વ્યાજ વસૂલવામાં આવતું હતું.

મોરબીમાં 22 ગણું વ્યાજ વસૂલનાર વ્યાજખોરો

સુરેશભાઈએ અત્યાર સુધીમાં કટકે-કટકે કુલ 2.43 કરોડ રૂપિયા (મૂળ રકમ કરતા 22 ગણી વધુ રકમ) વ્યાજખોરોને ચૂકવી દીધા છે. આમ છતાં, વ્યાજખોરો વધુ નાણાંની માંગણી કરી રહ્યા છે અને જો પૈસા ન આપે તો 'તમને ઘરબાર વગરના કરી દઈશું' તેવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે.વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અંતે સુરેશભાઈએ પોલીસના શરણ લીધા છે. મોરબી એ-ડિવિઝન પોલીસે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને અન્ય કલમો હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. 

આ પણ વાંચો: Navsari: વીજતંત્રની ઘોર બેદરકારીએ કિશોરીનો જીવ લીધો, રસ્તા પરથી પસાર થતી 16 વર્ષીય આયુષી પર જીવંત વીજતાર તૂટી પડ્યો


  • Follow us on: