મોરબી તાલુકાના જેતપર ગામે ખેતરોમાં વીજપોલ નાંખવાની કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટો રાજકીય વળાંક આવ્યો છે. આ કામગીરીના વિરોધ વચ્ચે રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ જેતપર ગામમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, લોકો વચ્ચે આજે એક લોકનેતા તરીકે નહીં, પરંતુ 'ગામના દીકરા' તરીકે આવ્યો છું. ગ્રામજનોની જાહેરમાં માફી માંગું છું.
વળતર મુદ્દે કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત
સમગ્ર વિવાદની વિગત એવી છે કે, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને નાખવામાં આવી રહેલા વીજપોલના કારણે ખેડૂતોની જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે યોગ્ય વળતર મેળવવાની માંગણી સાથે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા મોરબી કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોના આ આક્રોશને શાંત પાડવા મંત્રી પોતે મેદાનમાં આવ્યા છે.
સાથે બેસીને રસ્તો કાઢવાની ખાતરી
જેતપર ખાતે ખેડૂતોને સંબોધતા મંત્રી કાંતિ અમૃતીયાએ જણાવ્યું હતું કે, હું અહીં મારા ગામના ખેડૂતોને નુકસાન પહોંચાડવા નથી આવ્યો, પરંતુ તેમને મહત્તમ ફાયદો થાય તે માટે આવ્યો છું. તેમણે વધુમાં ખાતરી આપી હતી કે, વીજપોલના કારણે જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે, તેમને યોગ્ય વળતર અપાવવા માટે વહીવટી તંત્ર અને કંપની સાથે બેસીને સુખદ રસ્તો કાઢવામાં આવશે.
કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો
આ વિવાદ વચ્ચે કાંતિ અમૃતીયાએ વિપક્ષી પાર્ટીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કામ માત્ર લોકહિતના કામોમાં અવરોધ ઊભો કરવાનું છે. તેઓ ભોળા લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યું છે. વિપક્ષ ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ તેઓ ખેડૂતો સાથે મળીને આ પ્રશ્નનો ઝડપી અને સંતોષકારક ઉકેલ લાવીને જ રહેશે.
આ પણ વાંચો - Morbi News: હળવદમાં પાણીના ટેન્કર બાબતે ભાજપ નેતાએ કર્મચારીને માર માર્યો, આપી જાનથી મારી નાખવાની ધમકી!