મોરબી જિલ્લાની હળવદ નગરીમાં શ્રાવણ માસનું મહત્વ અનેરું અને અનોખું છે ત્યારે શહેરની ઉત્તર દિશાએ આવેલા અને બારેય માસ શિવભક્તોની આવનજાવનથી ધમધમતા ગૌલોકેશ્વર મહાદેવ સમગ્ર મોરબી તેમજ ઝાલાવાડ પંથકના ભાવિકોનું આસ્થાનું પ્રતીક બની ગયું છે.
છોટા કાશી ગણાતી હળવદ નગરીની ચારે દિશાએ ઉપરાંત વિવિધ વિસ્તારો અને શહેરની શેરીઓમાં અનેક શિવાલયો આવેલા છે. શહેરમાં પાછલા પાંચ છ વર્ષ માં વિકાસ વધી રહ્યો છે. ત્યારે શહેરના વર્ષો પુરાણા અને સ્વયંભૂ શિવાલયોના જીણોધ્ધર સાથે નવીનિકરણ થતા જોવા મળી રહ્યા છે. જે પૈકી શહેરની ઉત્તર દિશાએ આવેલા અને 600થી વધુ વર્ષ પુરાણા સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ આજે આસ્થાનું પ્રતીક બની ગયા હોય તેમ બારે માસ ભાવિકોથી ધમધમી રહ્યું છે. પંથકમાં પ્રર્વત્તી રહેલી લોકવાયકા મુજબ સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલયની આજુબાજુ છસો વર્ષ પહેલાં જંગલ આવેલું હતું. આ જંગલમાં એક નાની તલાવડી આવેલી હતી અને આ તલાવડીની આજુબાજુ ગામની ગાયોનું ધણ ચારો ચરવા આવતું હતું. જે પૈકીની એક ગાય કાયમ ધણમાંથી પરત ફરે ત્યારે ઘરે મોડી પહોંચતી હતી. પશુપાલક મોડી સાંજે ગાય દોહવા બેસે ત્યારે ગાયના આચળમાંથી દૂધ નીકળતું ન હતું. તેથી ગાયના માલિકને એવી શંકા થતી કે મારી ગાયને કોઈક દોહી લેતું લાગે છે. એક દિવસ તેને વિચાર આવ્યો અને જ્યાં ગાયનું ધણ જે જંગલમાં બેસતું હતું. ત્યાં સાંજે આ ગાયનો માલીક ત્યાં પહોંચી ગયો. સાંજ પછી બધી ગાયો ગામ તરફ્ આવવા રવાના થઈ પણ આ ગાય એક જગ્યા એ ઉભી રહી અને તેના આંચળમાંથી સ્વયં દૂધની ધારા થવા લાગી. ગાયમાં માલિકે આ નજરે જોયું બીજા દિવસે સવારે માલીક જંગલમાં પહોંચી તે જગ્યાએ જોયું તો ત્યાં શિવલિંગ હતું. બસ ત્યારથી આ જગ્યા એ શિવાલય બન્યું અને ગૌણેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયું છે. તેમજ અગાઉ રાજા રાજોધરજીએ અત્રે મંદિરનું નિર્માણ કર્યું અને તે સમયે ત્યાં સઈ સુતાર દરજી અને લુહાર જ્ઞાતિને આ શિવાલય સોંપવામાં આવ્યું હતું. કાળ ક્રમે આ શિવાલય શહેરની મધ્યમાં આવી ગયું છે.
