મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સરાયા ગામે પતિ-પત્ની વચ્ચેના અણબનાવનો કરુણ અંત આવ્યો છે. વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ હત્યા અને આપઘાતના પ્રયાસ જેવી ગંભીર ઘટનાનું રૂપ ધારણ કર્યું હતું. માહિતી મુજબ પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પત્નીની હત્યા બાદ પતિએ પીધી ઝેરી દવા

ઘટનામાં રૂકમા લક્ષ્મણભાઈ કટીજા નામની 40 વર્ષીય મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ લક્ષ્મણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેની હાલત ગંભીર બનતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, પોલીસ તપાસ શરૂ

પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ટંકારા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો