મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાંથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી એક ઘટના સામે આવી છે. તાલુકાના નાના દહિસરા ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અજાણ્યા તસ્કરો મંદિરમાંથી માતાજીના ચાંદીના ૧૩ છત્રોની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
અજાણ્યો તસ્કર ચાંદીના છત્રો ચોરી ગયો
નાના દહિસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં રાત્રિના સમયે એક અજાણ્યો ઇસમ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. તસ્કરે મંદિરમાં ગર્ભગૃહ પાસે રાખેલા માતાજીના પવિત્ર ચાંદીના 13 છત્રો પર હાથ સાફ કર્યો હતો. ચોરાયેલા આ 13 છત્રોનું કુલ વજન અંદાજે 400 ગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત આશરે રૂ.40,000 જેટલી આંકવામાં આવી છે. સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
