મોરબી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગત રાત્રે જેતપુર-રાપર રોડ પર એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ સાઈડમાં આવેલા પાણી ભરેલા નાળામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.


ઘટનાની વિગતો

ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ કાનાણી અને ભીખાલાલ દલસાણીયા પોતાની કાર લઈને જેતપુર-રાપર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટાઈને પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. કાર ઉંધી પલટી મારી ગઈ હોવાથી બંને યુવાનોને બહાર નીકળવાની તક મળી ન હતી.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરું ઉડ્યા

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ કારના દરવાજા તોડીને બંને યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક જેતપરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.

પરિવારમાં શોકનું મોજું

યુવાન વયના બે મિત્રોના અકાળે અવસાનના સમાચાર મહેન્દ્રનગર પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Morbi: સાઈડ કાપવાની સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાના કાળજું કંપાવી દેતા CCTV ફૂટેજ


  • Follow us on: