ઠાસરા તાલુકાના ઓઝરાળા આનંદપુરા વિસ્તારમાં રહેતા અજયભાઈ પરમાર ગત તા.19 જુલાઈ 2026ના રોજ પત્નિ અને દિકરા સાથે સાળાના ફાર્મહાઉસ પર મહેમાનગતિએ ગયા હોઈ રાત્રી ત્યાં જ રોકાયા હતા. તા.20મીના રોજ રાત્રીના બે વાગ્યે દાદા રસીકભાઈએ ફોન કરીને તારા પિતા રમેશ પરમારએ તારી માતા નીરુબેન (ઉં.વ.48) ના માથામાં લોખંડની નરાશ (કોશ) મારી દીધી છે, અને તારા પિતા, કાકી બધા તારી માતાને 108માં ડાકોર સરકારી હોસ્પિટલ લઈ ગયા છે તેમ જણાવતા જ અજયભાઈ તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં માતાને માથામાં ગંભીર ઈજા પહોંચી હોઈ ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા.

જ્યાં અજયભાઈએ પિતાને પુછતાછ કરતાં રાત્રે ઝઘડો થતાં મને ગુસ્સો આવી જતા માથામાં નરાશ મારી દીધી હતી, મારી ભુલ થઈ ગઈ છે...તેમ જણાવ્યું હતું. જે બાદ માતાની હાલત વધુ ગંભીર જણાતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

જો કે ત્યારથી પિતા રમેશ ક્યાંક જતા રહ્યા હતા. માતાનું સારવાર દરમિયાન તા.26મી જુલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું. ઠાસરા પી.આઈ. બી.એમ.ઝણકાટે જણાવ્યું હતું કે મૃતકની ફરિયાદના આધારે રમેશ રસીકભાઈ પરમાર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી ધરપકડ કરાઈ છે. પ્રાથમિક પુછતાછમાં રમેશ છેલ્લા બે વર્ષથી પત્નિ પર શક કરતો હતો, બનાવની રાત્રીએ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા રમેશે પત્નિના માથામાં નરાશના ત્રણ ફટકા મારી દીધા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો