માતર તાલુકાના સંધાણામાં રહેતા પીરુશા પુંજાશા દિવાન કે જે ગામમાં આવેલ મસ્જીદમાં સેવા કરે છે.


ગત તા.15 મે 2025ના રોજ અલ ફલાહ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો અનીશ અબુબકર વિરાણી (રહે.આબાદનગર, ઓવરબ્રિજ પાસે, આણંદ), ઈત્તેફાકહુસેન કલંદરહુસેન સૈયદ (રહે.સિરાજી મુસ્તકીમ હોલ, પેટલાદ), મહંમદઈમરાન મહંમદયુસુફ વ્હોરા (રહે.વડોદરા, માંડવી), તથા આસિફ ઈકબાલ સફીમીયાં મલેક (રહે.રાવલી) તેમના ગામમાં આવ્યા હતા. અને ગામમાંથી લોકોને ઉમરાહ કરવા લઈ જવાની જાહેરાત કરી તેનું જાહેરાત મસ્જીદ ચોકમાં પોસ્ટર લગાવ્યું હતું. અગાઉ પીરુશા તેમના દ્વારા ઉમરાહ ગયા હોવાથી ઓળખતા હતા. જેથી ટ્રાવેલ્સના સંચાલકોએ ચાર માસ પહેલાં રુપિયા ભરશે તેમના માટે 65 હજાર અને જે બાદ ભરશે તેમના માટે 75 હજાર તેમ જણાવ્યું હતું. જેથી ચરોતરના રતનપુર, ખંભાલી, બાકરોલ, ખેડા, સંધાણા, મોટી ખડોલ, દંતાલી વગેરે ગામના 10 પરિવારોના કુલ 58 લોકોએ ચેક અને રોકડા મળી કુલ રુ.36.80 લાખ રુપિયા પીરુશાને સોંપ્યા હતા. પીરુશાએ પણ અન્ય લોકોની હાજરીમાં રોકડ અને ચેક ટ્રાવેલ્સવાળાને ચુકવી દીધા હતા. ટ્રાવેલ્સવાળાએ તા.17 નવેમ્બર 2025ના રોજ અમદાવાદથી હવાઈ માર્ગે ઉમરાહ કરવા લઈ જવાનું વચન આપ્યા બાદ નહીં લઈ જતા 58 લોકો અવારનવાર પીરુશા પાસે પુછતાછ કરતાં હતા. અને ટ્રાવેલ્સવાળા પીરુશાને વાયદા બતાવ્યા કરતા હતા. જેથી પીરુશાએ આ મામલે ચારેય સંચાલક વિરુદ્ધ 35.80 લાખની વિશ્વાસઘાતની ફરિયાદ માતર પોલીસ મથકે નોંધાવી હતી.

29ને મધ્યસ્થીએ પોતાના ખર્ચે ઉમરાહ મોકલ્યા

સંચાલકો વારંવાર વાયદા કરતા હોવાથી આખરે પીરુશાએ સગાસંબંધીઓ પાસેથી 19 લાખ ઉઘરાવીને 29 જેટલા નાગરિકોને પોતાના ખર્ચે ઉમરાહ કરવા મોકલ્યા હતા. આ મામલે માતર પોલીસ મથકે ચારેય વિરુદ્ધ અરજી થતાં ચારેયે હાજર થઈ 20 દિવસમાં બાકીનાને ઉમરાહ કરવા લઈ જવાની અને બાકીના લોકોના રુપિયા પાંચ માસમાં પરત આપવાની લેખિત બાંયધરી આપી હતી. જો કે તે મુદ્દત પૂર્ણ થયા બાદ પણ કોઈને ઉમરાહ કરવા લઈ ગયા ન હતા કે રુપિયા પણ પરત ચૂકવ્યા ન હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: