નડિયાદ મહાપાલિકાના મેયર મનીષ પટેલના વોર્ડ નં 11ના ઇન્દીરા નગર વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર ચોમાસાના પ્રારંભ સાથે કાદવ અને કીચડ થઇ ગયો છે. આ રસ્તા પર અસહ્ય ગંદકીને લઇને નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઇ છે. સ્થાનિક રહીશોને કાદવ ખૂંદીને અવર જવર કરવી પડે છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને ત્રાહીમામ પોકારી ગયા છે. મનપા તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યા હલ કરવામાં આવે તેવી માગ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇન્દીરા નગર વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના ખાબોચિયા ભરાઇ રહેવાથી કાદવ કીચડનું સામ્રાજય પથરાઇ ગયું છે. આ રસ્તા પરથી પસાર થવું સ્થાનિક રહીશો માટે હવે એક સજા સમાન બની ગયું છે. આ રસ્તો આખો કાદવમાં ગરકાવ થઇ ગયો છે. વાહનચાલકો તો ઠીક , પરંતુ રાહદારીઓ માટે અહીં થી પગપાળા નીકળવું પણ અશકય બન્યું છે. આ કાદવને લઇને ટુવ્હીલર , રિક્ષા જેવા પણ ફસાઇ જવાની સમસ્યા રોજે રોજ સર્જાય છે. અત્રેના રહીશોના બાળકોને શાળાએ જતા આવતાં આ કાદવ ખૂંદીને અવર જવર કરવી પડે છે. જેના કારણે તેમના કપડા અને ચંપલ બગડે છે. કાદવ માંથી અવર જવર કરવાથી બાળકોને ચામડીના રોદ થવાની ભીતિ વાલીઓને સતાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો