નર્મદા જિલ્લામાં આજે તા. 13 ઓગસ્ટ, શ્રાવણ સુદ એકમ, ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જિલ્લાના વિવિધ શિવાલયો તથા નર્મદા નદીના કિનારે આવેલા મંદિરો અને આશ્રામોમાં શિવભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડયા હતા.
એક પુષ્પમ્, એક બિલીપત્ર, એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝ કે દેત હૈં ચંદ્રમોલિ ફ્લ ચાર - આ પંક્તિ મુજબ ભગવાન ભોળાનાથને એક પુષ્પ, એક બિલીપત્ર અને એક લોટા જળ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને ચાર ફ્ળનું આશીર્વાદરૂપે વરદાન આપે છે તેવી ધાર્મિક માન્યતા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઉપવાસ તથા શ્રાવણ માસના વ્રત કરે છે. અનેક ભક્તો અને ભૂદેવો દ્વારા માટીના શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે, જેને પાર્થેશ્વર શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે. દરરોજ પાર્થેશ્વર શિવલિંગ બનાવી તેની પૂજા કરવાનો પણ ધાર્મિક મહિમા છે.
