નવસારી સરોવર હોટલ પાસેથી સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે સરકારી કામો અંગે અખબારમાં નકારાત્મક સમાચાર નહીં છાપવા અને આર.ટી.આઈ.(RTI) નહીં કરવા માટે પત્રકારત્વની ઓથ હેઠળ રૂા. 51,000ની લાંચ માગી એન્ટીકરપ્શન બ્રાન્ચACBના હાથે રંગેહાથે ઝડપાયેલા આરોપી સતશંકર ઉર્ફે મુન્ના રામચરિત્ર મિશ્રા ની રેગ્યુલર જામીન અરજી નવસારી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્ના મિશ્રા (રહે. 104, શંકુતલમ રેસિડેન્સી, પિંજારા મોહલ્લો, જુનાથાના, નવસારી) વિરુદ્ધ નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (સંશોધન 2018) ની કલમ-7 એ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી પાસે સરકારે મંજૂર કરેલા કામોમાં તમારા વિરુદ્ધ અખબારમાં નહીં છાપવા અને આર.ટી.આઈ. નહીં કરવા બદલ દર વર્ષે નાણાં પહોંચતા કરવા પડશે તેમ કહી પ્રભાવ ઊભો કરી રૂા. 51,000 ની માંગણી કરવામાં આવી હતી.

ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે 1064 ટોલ ફ્રી નંબર પર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસીબી પોલીસ સ્ટેશને લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી માંગણી મુજબની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો. તા. 24 ઓગસ્ટ 2026ના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી અને રિમાન્ડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી સતશંકર ઉર્ફે મુન્ના મિશ્રા એ રેગ્યુલર જામીન અરજી નવસારીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કરી હતી. જેની સુનાવણીમાં જ્જ પી.એચ. શેઠ દ્વારા સરકારી વકીલ તુષાર સુળે જિલ્લા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો