ડાંગ જિલ્લામાં સીતાવન, ઝરી/વાડયાવન અને સુબીર ખાતે મૂર્તિઓ ખંડિત થવાની ઘટના બાદ શાંતિ અને એકતા ડહોળાય તેવા પ્રયાસો સામે 'ભારત આદિવાસી સંવિધાન સેના' દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગત તા. 31-08-2026ના રોજ કલેક્ટર કચેરીના પટાંગણમાં સાધ્વી યશોદાદીદી દ્વારા ધર્મના નામે દુષ્પ્રેરણા ફેલાવી, ઉશ્કેરણીજનક પ્રવચન આપી ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. આ પ્રકારના નિવેદનોથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. તાત્કાલિક આ ઘટનાના આરોપીને પકડવામાં નહીં આવે તો ડાંગમાં ખ્રિસ્તી અને મુસલમાનોના એક પણ ચર્ચ/મસ્જિદ રહેવા દઈશું નહીં તેવું કથિત ભાષણ સાધ્વી દ્વારા આપવામાં આવ્યું હતું.

સંસ્થાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ હેટ સ્પીચના કિસ્સામાં સ્થાનિક કલેક્ટર અને જિલ્લા પોલીસવડા દ્વારા સુઓ-મોટોની કાર્યવાહી કરવી જરૂરી છે. તેથી ડાંગ જિલ્લામાં શાંતિ, પ્રેમભાવ અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી સાધ્વી યશોદાદીદી સામે 'હેટ સ્પીચ' બદલ ગુનો નોંધી ત્વરિત અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો