શિવભક્તોએ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા સોમવારે ગણદેવી પંથકમાં 10 કિ.મી. વિસ્તારમાં પાંચ પ્રાચીન મહાદેવના દર્શનની પરંપરા છે. જેમાં ગડત કામેશ્વર મહાદેવ, અમલસાડ અંધેશ્વર મહાદેવ, કછોલી ગંગેશ્વર મહાદેવ, બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે લાખો શિવભક્તો ભક્તો ઊમટી પડયા હતા.
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે દક્ષિણ ગુજરાતના દાદા તરીકે જાણીતા છે. અહીં ભગવાન શિવનું જ્યોતિ સ્વરૂપ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. જે સ્વયંભૂ શિવલિંગ પ્રાચીનકાળથી યથાસ્થાને છે. જેના પવિત્ર દર્શને દેશ વિદેશથી લાખો ભક્તો ઊમટી પડે છે. શિવદર્શન સાથે આખો મહિનો અહીં શ્રાવણી મેળો ભરાય છે. જેમાં નીતનવી ચીજવસ્તુઓ ખાણીપીણી, ચકડોળનો દર્શનાર્થીઓ સહેલાણીઓ માટે આકર્ષણ બને છે. શ્રાવણમાં સોમવારનું અનેરું માહાત્મ્ય છે. સોમનાથ દાદાના વિશાળ મંદિર પરિસરની લગોલગ ગાયત્રી શક્તિપીઠ, જલારામ મંદિર, બહ્માકુમારી અને સાઈ મંદિર છે. તદુપરાંત નજીકમાં ગણદેવીના ગડત ગામે રામાયણ યુગનું કામેશ્વર મહાદેવ મંદિર, અમલસાડ ગામે અંધેશ્વર મહાદેવ મંદિર, કછોલી ગામે અંબિકા નદી કાંઠે ગંગેશ્વર મહાદેવ મંદિર, માજીગામ મલ્લિકાર્જુન મહાદેવ ભક્તોની આસ્થા કેન્દ્રો છે. શિવભક્તો આ પ્રાચીન પાંચ મહાદેવ મંદિરની જાત્રા સાથે દર્શનનો લહાવો લે છે. અહીં વહેલી સવારથી રણકતા ઘંટારવ અને ઓમ નમઃશિવાયના મંત્રોચ્ચાર થી વાતાવરણ ગુંજી ઉઠે છે. શિવમંદિરોમાં દર્શનાર્થે લાખો ભક્તો પગપાળા ઉમટયા હતા. જેમાં પણ શ્રાવણ માસના છેલ્લા સોમવારનું મંદિર મહત્ત્વ છે અને સુરત, નવસારી, વલસાડ, વાંસદા સહિત અનેક સ્થળોથી લાખો ભક્તો રવિવાર મધરાતેથી પગપાળા દર્શનાર્થી આવા શરૂ થયા હતા. માર્ગમાં જય ભવાની સેવા ટ્રસ્ટ, જય રાધેકૃષ્ણ જીવદયા ટ્રસ્ટ, જય જલારામ જન સેવા ટ્રસ્ટ, સમસ્ત શિવ પરિવાર, બજરંગ દળ ગણદેવી દેવસર બીલીમોરા બાલા હનુમાનજી મંદિર સોમનાથ રોડ સહિત અનેક સ્થળોએ દર્શનાર્થીઓ માટે ચા, પાણી, છાશ, લીંબુ શરબત, બિસ્કિટ, ફળાહારની વિનામૂલ્ય સેવા ઉપલબ્ધ કરાવી હતી.
