દંડેશ્વર ગામના રહીશ સાંજનભાઈ ભરવાડની વાડી તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી એક દીપડાની અવરજવર જોવા મળતી હતી. રાત્રિના સમયે ખેતરોમાં પાલતુ પશુઓ ઉપર હુમલાની દહેશત અને ખેડૂતોના જીવના જોખમને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. વાડીઓમાં કામ કરતા ખેડૂતો અને રહીશો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા હતા. સ્થાનિકોની ફરિયાદને પગલે નવસારી સામાજિક વનીકરણ વિભાગની સુપા રેન્જ દ્વારા ગંભીરતા દાખવી સાંજનભાઈ ભરવાડની વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં વન વિભાગ દ્વારા મારણ મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન ગત રાત્રિએ શિકારની શોધમાં નીકળેલી આશરે અઢી વર્ષની દીપડી પાંજરામાં મૂકેલા મારણની લાલચમાં પુરાઇ હતી.

સવારે દીપડી પાંજરે પુરાઈ હોવાની જાણ થતા જ દંડેશ્વર ગામના સરપંચે તાત્કાલિક સુપા રેન્જની ટીમને જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દીપડીને પાંજરા સાથે સુરક્ષિત રીતે કબજે કરી હતી.