નવસારી : નવસારીના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ, સુપા ખાતે 14 ઓગસ્ટે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ની અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ભારતના ભાગલાની કરુણ ગાથા, લાખો લોકોની હિજરત અને અમાનવીય યાતનાઓને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવી પેઢીને દેશના દર્દનાક ઇતિહાસથી અવગત કરાવી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન 1947ના ભાગલા સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ દર્શાવતી વીડિયો ક્લિપો વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. ગુરુકુળના આચાર્ય પરેશ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને ગુરુકુળ પરિવાર દ્વારા 75 મીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં દેશભક્તિના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વકૃત્વ સ્પર્ધામાં ક્રાંતિવીરો અને સ્વાતંર્ત્ય સંગ્રામના વિષય પર યોજાયેલી સ્પર્ધામાં ધોરણ 6 થી 8 માં સાર્થક પંચાલ (પ્રથમ), મયંક પટેલ (દ્વિતીય) અને હેત સેલર (તૃતીય) વિજયી બન્યા હતા.
