નવસારી મહાનગરપાલિકા દ્વારા દેશના 80મા સ્વાતંર્ત્ય પર્વની રાષ્ટ્રભક્તિના અદભુત માહોલ વચ્ચે અત્યંત ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વહેલી સવારે શહેરના ફુવારા વિસ્તારથી શરૂ થયેલી વિશાળ પ્રભાતફેરી ગોલવાડ અને ટાવર થઈને મહાનગરપાલિકાના પટાંગણમાં પહોંચી હતી. દુધિયા તળાવ ખાતે આવેલ સરદાર પટેલ ભવનના પટાંગણમાં મેયર અશોક ધોરાજીયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. તેમણે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને નમન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તાજેતરમાં શહેરમાં આવેલી ભયાનક પૂર હોનારતનો હિંમતભેર સામનો કરવા બદલ નવસારીની જનતાની ખુમારી અને એકતાની ભારે પ્રશંસા કરી હતી. સાથે 'સ્વચ્છ સર્વેક્ષણ'માં નવસારીને અગ્રેસર રાખવા નાગરિકોને સહકાર આપવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે શહેરની શેઠ એચ.સી. પારેખ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ 'રાણો સિંઘો રાજ રે' ગીત પર પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો. ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ અને મિશ્રા શાળા નંબર 8 ના વિદ્યાર્થીઓ દ્વારા અનુક્રમે 'જય હો' અને 'વંદે માતરમ' ગીતના તાલે અદભુત પિરામિડ ડાન્સ રજૂ કરાયા હતા. આ ઉપરાંત, શેઠ આઈ.એમ. બનાતવાલા હાઈસ્કૂલ દ્વારા ડાંગી નૃત્ય, તેમજ મિશ્રા શાળા નંબર 7 અને કન્યા શાળા નંબર 1 ની બાળાઓ દ્વારા અનુક્રમે 'તિરંગા બોલે હિંદુસ્તાન હમારા' અને 'મેરે ભારત કી બેટી' દેશભક્તિ ગીતો પર શાનદાર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.
