નવસારી : જલાલપોર તાલુકાના મોગર ગામના ખેતરોમાં બહારથી પશુઓ છોડી મૂકીને ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. પશુપાલકોની બેજવાબદારી અને દાદાગીરીના કારણે અન્નદાતાઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ શનિવારની બપોરે એક વાગ્યાના અરસામાં નવસારીના વિજલપોર વિસ્તારમાંથી કેટલાક બેજવાબદાર પશુપાલકોએ અંદાજે 60 ગૌવંશ અને રખડતા પશુઓને મોગર ગામની સીમમાં લાવીને ખુલ્લા ખેતરોમાં રેઢિયાળ હાલતમાં છોડી મૂક્યા હતા. આ પશુઓએ ખેતરોમાં ઘૂસીને અનાજ અને શાકભાજીના ઊભા પાકને મોટાપાયે નુકસાન પહોંચાડયું હતું.

શનિવારના બપોરના એક વાગ્યાના ગામના ખેડૂતોને પોતાના ખેતરોમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકસાન થઈ રહ્યું હોવાનું જોતા જ મોગર તેમજ આસપાસનાં ગામોના ખેડૂતોના ટોળેટોળાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. કેટલાક મહિનાઓથી રખડતા ઢોરોના ત્રાસના કારણે પરેશાન થઈ ઉઠેલા ખેડૂતોએ પોલીસને સાથે રાખી આખી રાત અને રવિવારે બપોર સુધી ખેતરોની આસપાસ નાકાબંધી કરી હતી અને તેમના ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરનાર ઢોરોને તેના માલિકો લેવા આવે છે કે કેમ તે જાણવા માટે બેસી રહ્યા હતા. જોકે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ એક પણ પશુપાલક ખેતરોમાં નુકસાન કરનાર ગોવંશના પશુઓને લેવા માટે ફરક્યો ન હતો. પોલીસે પણ તપાસ કરતા ઢોરને પાળનાર પશુપાલકોએ પણ તેમના ઢોર નથી તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી મોગાર ગામના ખેતરોમાં પાકને વ્યાપક નુકસાન કરનાર 60 ઢોરોને નવસારી હાઇવે પર આવેલા ખડસુપા-ઉન ગામ પાસેના પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો