નવસારી : નવસારી મહાનગરપાલિકામાં સંવેદનહીનતાને ઉજાગર કરતી ઘટના બહાર આવી છે. પતિના અવસાનના ત્રણ મહિના પણ નથી થયા, તેવા સમયે સરકારી સહાય મેળવવા માટે કચેરીએ ગયેલી 77 વર્ર્ષની વયોવૃદ્ધ મહિલા પાસે પાલિકા દ્વારા 'પુનઃ લગ્ન નથી કર્યા' તેવું સોગંદનામું માંગવામાં આવ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં વૃદ્ધા જે વિસ્તારમાં રહે છે ત્યાંના રહીશોમાં રોષ ફેલાયો હતો.

સન 1949માં જન્મેલી નવસારીની 77 વર્ર્ષની આ વયોવૃદ્ધાએ તેમના જીવનનો મોટો હિસ્સો વિતાવી દીધો છે. જે ઉંમરે તેમને આરામ અને માનસિક શાંતિની જરૂર છે, તે ઉંમરે પતિ ગુમાવ્યાનું દુઃખ સહન કરતી આ વૃદ્ધા વિધવા સહાય મંજૂર કરાવવા માટે પાલિકામાં 'પુનઃ લગ્ન નથી કર્યા' તેનો દાખલો લેવા પહોંચી, ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓએ તેમની વ્યથા સમજવાને બદલે અમાનવીય વલણ અપનાવ્યું હતું. પાલિકાએ તેમને સ્પષ્ટ જણાવી દીધું કે, જ્યાં સુધી તેઓ 'પુનઃ લગ્ન નથી કર્યા' તેનું સોગંદનામું રજૂ નહીં કરે, ત્યાં સુધી તેમને દાખલો મળશે નહીં. મહાનગરપાલિકાની આ નીતિથી લોકોમાં પ્રશ્નો ઊભો થયો છે કે, 77 વર્ર્ષની વયોવૃદ્ધ મહિલા, જેમણે ત્રણ મહિના પહેલા જ પોતાનો જીવનસાથી ગુમાવ્યો છે, તેમને શું આ વયે પુનઃ લગ્નની શક્યતા દેખાય છે? સરકારી તંત્રની આવી નીતિથી કચેરીમાં હાજર અન્ય લોકોમાં પણ નારાજગી ફેલાઈ હતી. જો કે, તે પછી વૃદ્ધાએ સૌગંધનામુ રજૂ કરવું પડયું હતુ. પીડિત મહિલાના સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કે, *એક વૃદ્ધા જેના પર હાલ દુઃખનો પહાડ તૂટી પડયો છે. તેમની પાસે આવા પુરાવા માંગવા એ શું સરકારની ગરીબલક્ષી નીતિ છે?