ગણદેવી : ગણદેવી સોશિયલ ગ્રૂપે દાતાઓના સથવારે પૂરપીડિત પરિવારોને રૂ. 10.45 લાખના ખર્ચે જીવન જરૂરી કરિયાણાની 1 હજારથી વધુની કિટ વિતરણ કરી હતી. જેને પગલે જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત પહોંચી હતી. પૂરના લીધે અનેક ઘરો, રસ્તાઓ અને જાહેર મિલકતો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમજ જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું. પૂરના પાણીમાં ઘેરાયેલા અને બેઘર બનેલા લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે સોશિયલ ગ્રૂપે તજવીજ હાથ ધરી હતી અને કાયમી દાતા આનંદ વશી અને ધૃતીબેન વશીના સંકલન સાથે મુંબઈના નરગેશ ખુરશેદજી દાદી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના કર્તાહર્તાઓએ પૂરપીડિતો માટે રૂ. 10.45 લાખની કિટ આપી હતી. ગણદેવીનાં કસ્બાવાડી, સુંદરવાડી, કાત્રક વીલા, હરિજનવાસ, તેમજ તાલુકાના અજરાઈ ગામ, પાનમોરા, ટેકરી ફળિયા, ધમડાછા, તોરણગામ જેવા વિસ્તારમાં 1 હજારથી વધુ પરિવારોને રાહત પહોંચી હતી.
