વાંસદા ચીખલી હાઇવે પર આવેલા કંડોલપાડા ગામના માવલી સર્કલ વચ્ચેની લાઈટો 24 કલાક અવરજવરવાળો રસ્તો હોવા છતાં રાત્રી દરમિયાન બંધ હોય છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.

વાંસદા તાલુકાના કંડોલપાડા ગામના માવલી સર્કલ કે જે ચીખલી-વાંસદા- સાપુતારાને હાઈવેને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ છે. ત્યાંનું માવલી સર્કલ મુખ્ય સર્કલ હોવાથી અહીંથી વહેલી પરોઢીયેથી મોડી રાત સુધી વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત લોકો અપડાઉન કરતા હોય છે અને અહીં કેટલાક ઘણા સમયથી લાઈટ બંધ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. જેથી રાત્રી દરમિયાન કંડોલપાડા માવલી સર્કલ ખાતે અંધારપટ છવાય રહ્યો છે. લોકોની મદદગારી માટે મુકાયેલ લાઈટ ફ્ક્ત શોભના ગાંઠિયા સમી બની રહી છે. કામથી ગયેલ નોકરિયાત વર્ગ કે કોલેજમાં ગયેલ વિદ્યાર્થી રાતે પાછા ફરે ત્યારે અહીં અંધારપટ છવાયેલ હોય છે. જેના કારણે તેમને ભારે હલાકીનો સામનો કરવો પડે છે. છતાં પણ કંડોલપાડા ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી નહીં હાલતા આખરે રાહદારીઓને રાત્રીના સમયે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક સ્થાનિક રહીશો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે હું અહીંથી સુરત નોકરી માટે અપડાઉન કરું છું. સાંજે આવતાં મને મોડું થઈ જાય છે, ત્યારે અહીં સર્કલ વચ્ચેની લાઈટો બંધ હોય છે, જેના કારણે અંધારપટ છવાયેલ હોય છે, મારી કંડોલપાડા ગ્રામ પંચાયતને અપીલ છે કે આ સમસ્યાનો ઝડપથી નિકાલ લાવે.