નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. લીમઝર ગામના આદિમજૂથ ફળિયામાં કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક હિન્દુ સંગઠનો આ મિશનરી પ્રવૃત્તિની જાણ થતાં તાત્કાલિક એકઠા થયા હતા અને આ ગતિવિધિને અટકાવી હતી.
આદિમજૂથ ફળિયામાં ધર્માંતરણનો ગંભીર મામલો
હિન્દુ સંગઠનોએ આ અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ હતી. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે ભોળી જનજાતિના લોકોને લાલચ આપીને કે અન્ય રીતે ગેરમાર્ગે દોરીને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, જેને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
