પાદરાઃ પાદરા નગરના સ્ટેશન રોડ પર શ્રી સાંઈબાબા મંદિર ખાતે શ્રી સાંઈસેવા સમિતિ, પાદરા દ્વારા ભવ્ય ભંડારો તથા વિષ્ણુયાગનું ધાર્મિક આયોજન કરાયું હતું. અધિક જેઠ સુદ-7, શુક્રવાર તા.22ના રોજ યોજાયેલા આ પાવન કાર્યક્રમમાં પાદરા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાઈભક્તો અને ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી.
કાર્યક્રમનો પ્રારંભ સવારે 9 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અને વિષ્ણુયાગથી કરાયો હતો. વિષ્ણુયાગમાં કુલ 11 યુગલે ભાગ લઈ પુણ્યનો લાભ લીધો હતો. સાંજે 6 કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ તથા મહાઆરતી યોજાઈ હતી. મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. ઓમ સાઈ રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. ત્યારબાદ સાંજે 7 કલાકે ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તિમય સંગીત અને ધાર્મિક કાર્યક્રમોથી ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
