બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીરના વધામણા થયા છે. બનાસકાંઠા જિલ્લાનો પૂર્વ વિસ્તાર એટલે કે પાલનપુર સહિતના પંથકોમાં સિંચાઈના પાણીની અછતને લઈ ખેડૂતો વર્ષોથી હાહાકાર પોકારી ઉઠયા હતા પરંતુ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે કસરા દાંતીવાડા પાઈપલાઈન નાખી નર્મદાના નીર પાલનપુર તાલુકાના મલાણા ગામના તળાવમાં પહોંચાડતા જ ખેડૂતો ખુશખુશાલ થયા છે.
બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી પાણીની પરાયણ ભોગવતો જિલ્લો છે. આ જિલ્લાનો પૂર્વ વિસ્તાર એવો છે કે જે વિસ્તારમાં ન તો કોઈ મોટા જળાશય છે કે ન કોઈ કેનાલની વ્યવસ્થા અને તેને જ કારણે આ વિસ્તારના લોકો સિંચાઈના પાણી માટે વર્ષોથી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જો કે ખેડૂતો અને પશુપાલકોને પડતી મુશ્કેલીને લઈ પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવાની માંગ સાથે મલાણા સહિત આસપાસના 10 થી વધુ ગામોના લોકોએ બે વર્ષ પહેલાં એક મોટું આંદોલન છેડયું હતું. મલાણા તળાવમાંથી શરૂ થયેલું ખેડૂતોનું આ આંદોલન પાલનપુરના રસ્તાઓ સુધી પહોચ્યું અને હજારોની સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો રસ્તા પર ઉતરી આંદોલન કરતાં આ ખેડૂતોની માંગ સરકારે સ્વીકારી લીધી. સરકાર દ્વારા દાંતીવાડા કસરા પાઈપલાઈનનું આયોજન કરાયું. કરોડો રૂપિયાના ખર્ચે આ પાઈપલાઈનની કામગીરી કરાઈ અને કામગીરી પૂર્ણ થતાની સાથે જ એક દિવસ પહેલા મલાણા તળાવમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હોય તેમ ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેડૂતોએ નર્મદાના નીરને શ્રીફળ વધેરી વધાવ્યા છે ત્યારે ખેડૂતોનું મહાઆંદોલન રંગ લાવ્યો છે. વર્ષોથી આ વિસ્તારએ સિંચાઈના પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યો હતો. વિસ્તારના ખેડૂતો તથા પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. પરંતુ સરકાર દ્વારા હવે જે નર્મદાના નીર લાવવાનો પ્રયાસ કરાયો છે ત્યારે ખેડૂતોનું માનવું છે કે મલાણા તળાવ નર્મદાના નીરથી ભરાશે તો આસપાસના વિસ્તારમાં ભુર્ગભ જળ ઉંચા આવશે અને ખેડૂતો પોતાનો પશુપાલન અને ખેતીના વર્ષો જુનો વ્યવસયા ટકાવી શકશે.










