પાલનપુરની ITI કોલેજમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોટો હોબાળો મચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોલેજના એક શિક્ષકે ક્લાસમાં નિયમિતપણે હાજર ન રહેતા ચાર વિદ્યાર્થીઓને કથિત રીતે પટ્ટાથી માર માર્યો હતો.


માર મારતો હોવાનો વિડીયો વાયરલ 

શિક્ષક દ્વારા ચાર વિદ્યાર્થીઓને માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેના કારણે કોલેજ પ્રશાસન અને શિક્ષક સામે આક્રોશ ફેલાયો હતો.માર ખાનાર ચારેય વિદ્યાર્થીઓ ITI કોલેજના ATN ટ્રેડમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

 ABVP દ્વારા આવેદનપત્ર

વિદ્યાર્થીઓ સાથે થતા આ પ્રકારના અત્યાચારનો વિરોધ કરવા માટે ABVPના કાર્યકર્તાઓ ITI કોલેજ ખાતે એકઠા થયા હતા અને તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.ABVPના કાર્યકર્તાઓ દ્વારા આ મામલે કડક પગલાં લેવાની માંગ સાથે કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.શિક્ષણ જગતમાં આવી શારીરિક સજાની ઘટના સામે આવતા કોલેજ પ્રશાસન આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: