પાલિતાણાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામિણ ભારતની પ્રગતિને પ્રોત્સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026'નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે.
ગ્રામિણ વિકાસ વિષયક ચર્ચામાં ઉંડો રસ દાખવ્યો
આ મહોત્સવનું ઉદઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નિમંત્રણ અપાયું છે. હણોલના પનોતાપુત્ર અને કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં હણોલ ગ્રામ વિકાસ સમિતિએ દિલ્હી પહોંચીને પીએમ મોદીની રૂબરૂ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ સમિતિના પ્રયત્નો પ્રશંસનીય ગણાવ્યા અને ગ્રામિણ વિકાસ વિષયક ચર્ચામાં ઉંડો રસ પણ દાખવ્યો હતો.
ગામમા ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
ગ્રામ વિકાસ સમિતિએ જણાવ્યું કે આ મહોત્સવ 'આત્મનિર્ભર ભારત' અને 'સમૃદ્ધ ગામ – સમૃદ્ધ ભારત'ના પીએમ મોદીના દ્રષ્ટિકોણને સાર્થક બનાવવાના હેતુથી યોજાયો છે. ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્રામ ઓલિમ્પિક્સ,ગ્રામ એક્સ્પો,ગ્રામ વિકાસ સંવાદ, તીર્થગામ હણોલના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન, કુદરતી ખેતી પર સંવાદ અને મકરસંક્રાંતિ પતંગ મહોત્સવ વગેરેનો સમાવેશ થશે.
ભારતની ભૂમિ અને ગામડાં સાથે જોડાવા માટે પ્રેરણા
સમિતિએ વધુ જણાવ્યું કે આ મહોત્સવનો હેતુ દેશના યુવાનોને તેમના મૂળભૂત મૂલ્યો, ભારતની ભૂમિ અને ગામડાં સાથે જોડાવા માટે પ્રેરણા આપવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ પોતાની મૂળ શક્તિને ઓળખી શકે, વાસ્તવિક ભારતને નજીકથી અનુભવી શકે અને જ્યારે આવતીકાલના આગેવાનો બની આગળ વધે, ત્યારે તેમના સંકલ્પ તેમની ભૂમિ, સમાજ અને સંસ્કૃતિ સાથે ઊંડાઈથી જોડાયેલા રહે. હણોલ મહોત્સવ 2026 માત્ર ઉત્સવ નથી, પરંતુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ગ્રામિણ ભારતની યાત્રાનું એક પ્રતિકાત્મક પગલુ છે.
આ પણ વાંચોઃ Ahmedabad : અમિત શાહના હસ્તે 330 કરોડના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ