પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે જળાશયમાં મોટા પાયે નવા પાણીની આવક થતાં તંત્ર અને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. શનિવારના દિવસ દરમિયાન પાનમ ડેમમાં 32,000 ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ હતી, જેના પગલે ડેમની જળસપાટી વધીને 122.95 મીટરે પહોંચી છે. હાલની સ્થિતિએ ડેમમાં પીવા તેમજ સિંચાઈ માટે આગામી એક વર્ષ સુધી ચાલે તેટલો પર્યાપ્ત જળજથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે.
પંચમહાલ જિલ્લાની સમૃદ્ધિ અને જળ સુરક્ષા માટે જીવાદોરી સમાન ગણાતા પાનમ જળાશયમાં ચોમાસાની ઋતુ જામતાં જ પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. શનિવારના એક જ દિવસ દરમિયાન ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે ડેમમાં ગણતરીના કલાકોમાં 32,000 ક્યુસેક નવા પાણીની આવક નોંધાઈ હતી. આ સાથે જ પાનમ ડેમની જળસપાટી વધીને 122.95 મીટર પર પહોંચી ગઈ હતી, જેનાથી સિંચાઈ કેનાલ માંથી પાણી મેળવતા પંચમહાલ મહીસાગર અને વડોદરા જિલ્લાના ખેડૂતો તેમજ 50થી વધુ ગામના ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.જ્યારે સિંચાઈ વિભાગના સત્તાવાર વર્તુળો પાસેથી મળતી માહિતી મુજબ, ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે પાનમ ડેમમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. જિલ્લામાં અને કમાન્ડ વિસ્તારમાં પણ સારો વરસાદ થઈ રહ્યો હોવાથી, સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવતું 750 ક્યુસેક પાણી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી જળાશયમાં પાણીનો સંગ્રહ વધશે અને જળ સપાટીમાં પણ વધારો થશેતો નવાઈ નહી.હાલમાં પાનમ જળાશય તેની કુલ ક્ષમતાના 55.97 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. અત્યારે ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો એક વર્ષ સુધી ચાલી શકે તેટલો હોવા સાથે પંચમહાલ અને મહિસાગર જિલ્લા માટે અત્યંત આશ્વાસનરૂપ છે.
