જાંબુઘોડા : હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જાંબુઘોડાના રણછોડજી મંદિર ખાતે ભવ્ય હિંડોળા ઉત્સવ યોજાયો હતો. સરપંચ જીતકુમાર દેસાઈ અને મયંકકુમાર દેસાઈના પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં ભગવાન શ્રી રણછોડરાયજીને પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ નયનરમ્ય વાઘા ધારણ કરાવી તાજાં પુષ્પોથી સુશોભિત હિંડોળામાં બિરાજમાન કરાયા હતા. ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજ્જ હિંડોળામાં બિરાજમાન ઠાકોરજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી વૈષ્ણવો અને ભક્તો ભાવવિભોર બન્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા. ઉત્સવ દરમિયાન ભક્તો માટે વિશેષ દર્શન તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. ભજન-કીર્તન અને જય રણછોડ, માખણ ચોરના જયઘોષથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. આયોજક પરિવારે મંદિરના પૂજારી રાજુભાઈ તથા સહયોગી ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો