શહેરા : શહેરા સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માઈભક્તો દ્વારા અંતિમ દિવસે રાત્રિ જાગરણ બાદ વહેલી સવારે નદી-તળાવોમાં વાજતે-ગાજતે માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. શહેરા સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માઈભક્તો દ્વારા દશામાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી ચાલેલા આ શ્રદ્ધાપર્વમાં વ્રતધારીઓ માતાજીની આરાધનામાં લીન રહ્યા હતા અને અંતિમ દિવસે રાત્રિ જાગરણ બાદ વહેલી સવારે નદી-તળાવોમાં વાજતે-ગાજતે માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. દસ દિવસ સુધી અખંડ જ્યોત સાથે સવાર-સાંજ માતાજીની મહાઆરતી, થાળ અને સત્યદેવની કથાનું પઠન કરાયું હતું. કાંકણપુર ગામના મહિલા મંડળ દ્વારા સૂર અને તાલના સુભગ સમન્વય સાથે માતાજીના પ્રાચીન-અર્વાચીન ગરબા તેમજ ભાવવાહી ભજનોની રમઝટ બોલાવી હતી. અંતિમ દિવસે ભજન-કીર્તનની સાથે માઈભક્તો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જાગરણની વહેલી પરોઢે માતાજીની પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મહીસાગર, પાનમ નદી તેમજ અન્ય નદીઓ અને તળાવોના કિનારે ભક્તોએ અશ્રુભીની આંખે પ્રતિમાઓનું પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો