પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના કારણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે વાહનવ્યવહાર ખોરવાય નહીં અને નાગરિકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી તમામ રસ્તાઓ ખુલ્લા કરાયા હતાં.

સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા અને માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ પ્રભાવિત વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરી હતી. ઘોઘંબા તાલુકામાં રણજીતપુરાથી બારીયા રોડ (પરોલી) તેમજ રણજીતનગર થી પરોલી (કરોલી ગામ) માર્ગ, જાંબુઘોડા તાલુકામાં પાવાગઢથી બોડેલી હાઇવે પર ભીલ ડુંગરા નજીક, શહેરામાં હોંસેલાવથી લાભી રોડ, હાલોલમાં પાવાગઢ બાયપાસ રોડ પર વડા તળાવ નજીક, કાલોલમાં મલાવથી કાલોલ રોડ પર આવેલા આંટા ગામે રસ્તા પર પડેલા વૃક્ષો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયા હતાં.