સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના કણજીપાણી સહિત ત્રણ ચાર ગ્રામપંચાયતમાં બોગસ દસ્તાવેજોના આધારે હજારો લગ્ન નોંધણી કરનાર તલાટીને પોલીસ સર્વેલન્સ ટીમે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતેથી ઝડપી લીધો છે. ઝડપાયેલ તલાટીએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે લગ્ન નોંધણીના દસ્તાવેજો ડેરોલ સ્ટેશન ખાતે એક વકીલના મકાનમાં સંતાડયા છે. જેના પગલે વકીલના ઘરમાંથી પોલીસે દસ્તાવેજો પણ કબ્જે કર્યા હતા.પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની કણજપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલે તેમની ફરજ દરમ્યાન કરા, ઉઢવણ તથા રામપુરાના ઇન્ચાર્જ તલાટીકમ મંત્રી તરીકેનો ચાર્જ પણ સંભાળતો હોય તે સમય દરમ્યાન તલાટી સામે બે હજાર કરતા વધુ લગ્ન નોંધણી કરીને પોતે પચાસ લાખ કમાયા હોવાની અને પોતે રાજસ્થાનમાં જમીનો પણ લીધી હોવાનું કબૂલાત કરતો એક વિડીયોએ ભારે ચકચાર જગાવી હતી. ગુજરાતમાં બોગસ દસ્તાવેજોને આધારે લગ્ન નોંધણીનો ચકચાર જગાવનાર આ વીડિયો વાયરલ થયા બાદ તલાટી ફરાર થઇ ગયો હતો.


દરમિયાન જિલ્લા પંચાયત તંત્રએ હરકતમાં આવીને તલાટી અર્જુન મેઘવાલના સેજામાં રહેલી ગ્રામ પંચાયતોમાં તપાસ કરતા 2024ના કેટલાક લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા હતા પરંતુ વર્ષ 2025 દરમ્યાન નોંધેલા લગ્ન નોંધણીના દસ્તાવેજોનો તેમજ તલાટીનો કોઈ અતોપતો મળતો નહોતો. જેથી પંચમહાલ જિલ્લા પંચાયત વિભાગ દ્વારા જાબુઘોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરાર તલાટી અંગેની તપાસ હાથ ધરી ગાયબ દસ્તાવેજોને કબજે કરવાની ગતિવિધિઓ હાથ ધરી હતી.સમગ્ર તપાસમાં જોડાયેલ એલસીબી, એસઓજી તથા જાંબુઘોડા પોલીસની સંયુક્ત ટીમોના ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે બુધવારે સાંજે તલાટી અર્જુન મેઘવાલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામે સંતાયો હોવાની બાતમી મળતાં સર્વેલન્સ ટીમોએ છાપો મારીને પકડી પાડયો હતો ઝડપાયેલા તલાટીને જાંબુઘોડા પોલીસે પુછપરછ કરીને લગ્ન નોંધણી દસ્તાવેજો સંતાડયા હતા તે એક સ્થાનિક વકીલ ચિરાગ રાઠોડના મકાનમાં તપાસ કરતાં પોલીસને લગ્ન નોંધણીના દસ્તાવેજો પણ મળી આવતા લગ્ન નોંધણી દસ્તાવેજો કબજે કર્યા હતા. જાંબુઘોડા પોલસે કણજી પાણી ગામના તલાટી અર્જુન મેઘવાલને કોર્ટમા રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તલાટીના એકાઉન્ટમાં એક વર્ષમાં 44 લાખનું ટ્રાન્જેક્શન થયું

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2025 માં 576 જેટલાં લગ્ન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તલાટી અર્જુન મેઘવાલના બેન્ક એકાઉન્ટ ની તપાસ કરતા તા. 1/1/2025 થી લઇ 10/12/2025 સુધી માં 44 લાખ ઉપરાંત નુ ટ્રાન્જેક્શન થયુ હોવાનું સામે આવ્યું હતું છે. જો કે હાલમાં તેના ખાતામાં માત્ર રૂા. 30 બેલેન્સ બતાવે છે.

પંચમહાલની 5 ગ્રામ પંચાયતોના તલાટીઓને નોટિસ

ગોધરા : પંચમહાલ જિલ્લાના શહેરા, જાંબુઘોડા, ઘોઘંબા અને કાલોલ તાલુકાની સાત ગ્રામ પંચાયત લગ્ન નોંધણી મુદ્દે વિવાદમાં આવી છે. આ ગ્રામ પંચાયતોમાં જિલ્લા કક્ષાએથી તપાસ ટીમ દ્વારા લગ્ન નોંધણી દફ્તરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કેટલીક વિસંગતતાઓ મળી આવતાં સાત પૈકી પાંચ ગ્રામ પંચાયતોના સંલગ્ન તલાટી કમ મંત્રીઓને તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસા માટે રૂબરૂ હાજર રહેવા જાણ કરી છે.

શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત, ઘોઘંબાની કંકોડા કોઈ, નાથકુવા, ભાણપુરા અને પાલ્લી ગ્રામ પંચાયત, જાંબુઘોડાની કણજીપાણી ગ્રામ પંચાયત અને કાલોલની કાલંત્રા ગ્રામ પંચાયતોમા લગ્ન નોંધણીની જોગવાઈ મુજબ નોંધણી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપો અને રજૂઆતો થઈ હતી. જેથી આ સમગ્ર મુદ્દે તાલુકા કક્ષાએથી તેમજ જિલ્લા કક્ષાએથી તપાસ ટીમની રચના કરી લગ્ન નોંધણીના દફ્તરો કબજે લેવામાં આવ્યા હતા .આ લગ્ન નોંધણીના દફ્તરોની તપાસ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં કેટલીક ગંભીર ક્ષતિઓ મળી આવતા તે અંગેનો અહેવાલ ડેપ્યુટી ડીડીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંકોડા કોઈ, નાથકુવા, પાલ્લી, ભાણપુરા અને કાલંત્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રીઓને નોટિસ આપવામાં આવી છે.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: