કાલોલમાં 250 વર્ષ પ્રાચીન સિધ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ગઈકાલે તા.3ના પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં આવતીકાલે શુક્રવારે ધ્વજારોહણ અને પ્રાણ પ્રતિષ્ઠા કરાશે.
કાલોલ ચૌર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ તથા શ્રી સિધ્ધનાથ મહાદેવ જીર્ણોદ્વાર સમિતિ દ્વારા સંચાલિત 232 વર્ષ પ્રાચીન શિવમંદિરનો જીર્ણોદ્વાર કરી નવનિર્મિત મંદિરના નિજગૃહમાં પ્રાચીન શિવલિંગની ઉપસ્થિતિમાં પાર્વતી માતા, ગણેશ, હનુમાનજી, નંદી મહારાજ, કાચબાની મૂર્તિઓ તેમજ શિવમંદિરની બાજુમાં નવનિર્માણ પામેલ દત્તાત્રેય મંદિરના નિજગૃહમાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે બુધવારે નગરમાં શોભાયાત્રા, મહારુદ્ર યજ્ઞ તથા પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ, સાંજે જલાધિવાસ, સંધ્યાકાળે સાયં પુજન, આજે સવારે નિજમંદિરનું વાસ્તુપુજન, 108 કળશ શ્રીપન વિધિ, સાંજે મુર્તિન્યાસ તેમજ શૈધાધિવાસની વિધિ કરવામાં આવી હતી. જ્યારે આવતીકાલે શુક્રવારે ધ્વજારોહણ, પ્રાણ પ્રતિષ્ઠા અને શિખર સ્થાપનને અંતે મહાઆરતી અને મહાપ્રસાદ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે.










