જાંબુઘોડામાં પડેલા અતિભારે વરસાદને પગલે તાલુકાના અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આવી સ્થિતિમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ તથા તેમની ટીમે જાંબુઘોડા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ લોકોને હિંમત અને સહકાર આપ્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખે પીપિયા, ખાંડીવાવ અને મસાબાર ગામોની મુલાકાત લઈને વરસાદી પાણીથી અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી જરૂરી સહાય અંગે ખાતરી આપી હતી આ પ્રસંગે અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ધરાવતી રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી મુશ્કેલીના સમયમાં પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે. વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક સ્થળોએ અવરજવરમાં મુશ્કેલી સર્જાતા જિલ્લા ભાજપની ટીમે તંત્ર સાથે સંકલન કરી તાત્કાલિક JCB મશીન બોલાવી પાણીના નિકાલની કામગીરી શરૂ કરાવી હતી. જેના કારણે ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતાં સ્થાનિક લોકોને નોંધપાત્ર રાહત મળી હતી. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે ઉભા રહેવું દરેકની સામાજિક જવાબદારી છે. જરૂરિયાતમંદ લોકોને તમામ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરાશે તથા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવાશે.