પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં બે મર્ડરની ઘટનાઓ બાદ હવે પોલીસની લાચારીનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. ચાણસ્માના જીલીયા ગામ પાસે આવેલા ભાવેશભાઈના ફાર્મ હાઉસ પર 20 જેટલા માથાભારે શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ સ્થળ પર હોવા છતાં લુખ્ખાતત્વોના ડરથી ભાગી છૂટી હતી.

પાટણમાં ફાર્મ હાઉસ પર 20 લોકોનો હિંસક હુમલો

સમગ્ર મામલે પાટણ DYSP પરેશ રેણુકાનું નિવેદન સામે આવ્યું છે, જે પોલીસની કામગીરી પર મહોર મારવાને બદલે તેમને શરમશાર કરી રહ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.

https://www.instagram.com/reel/DV-bRs3CFz1/?utm_source=ig_web_button_share_sheet

પોલીસને જીવ બચાવી ભાગવું પડ્યું

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જીલીયા ગામે રામાપીરનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવા બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને 20 જેટલા શખ્સોએ ધારિયા, તલવારો અને લાકડીઓ વડે ફાર્મ હાઉસમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.

પોલીસની લાચારીનો જીવતો જાગતો પુરાવો 

એક અઠવાડિયામાં બે હત્યાઓ અને હવે પોલીસની હાજરીમાં જ પોલીસનું ભાગવું એ પાટણ જિલ્લામાં લુખ્ખાતત્વોના વધેલા મનોબળને દર્શાવે છે. બુટલેગરો અને હિસ્ટ્રી શીટરોમાં હવે પોલીસનો કોઈ જ ડર રહ્યો ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સવાલ એ ઉઠે છે કે જો 'જન સુરક્ષા' ની ગાડી જ સુરક્ષા ન આપી શકે, તો સામાન્ય જનતાએ કોના ભરોસે રહેવું?

આ પણ વાંચો: Ahmedabad: નરોડામાં કન્ટેનરમાંથી 1.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, હરિયાણાથી અસલાલી જતો જથ્થો પકડાયો