રાધનપુર પંથકમાં તાજેતરમાં નોંધાયેલા અંદાજે 710 મી.મી. વરસાદે જનજીવનની સાથે કૃષિ ક્ષેત્રને પણ ભારે નુકસાન પહોંચાડયું છે. અવિરત વરસાદને કારણે રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેતરોમાં ઉભેલો ખરીફ્ પાક સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. રાધનપુર તાલુકાના ખેડૂતો દ્વારા આ વર્ષે મોંઘા બિયારણો ખરીદી અડદ, મગ, ગવાર સહિતના કઠોળ પાક તેમજ મોટા પ્રમાણમાં ઘાસચારા માટે વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે સતત પડેલા ભારે વરસાદને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. હાલમાં અનેક વિસ્તારોમાં પાકના બદલે દૂર દૂર સુધી માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાંથી વરસાદી પાણી ઉતરવામાં હજુ 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. એટલા લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં ખરીફ્ પાક બચી શકે તેવી શક્યતા ખૂબ ઓછી છે. પરિણામે સમગ્ર ચોમાસુ સીઝન ખેડૂતો માટે નિષ્ફ્ળ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
