પાટણના શંખેશ્વરમાં જગતના તાત ગણાતા ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શંખેશ્વર-પંચાસર રોડ પર આવેલા 'રાજ પેટ્રોલિયમ' પંપના સંચાલકો દ્વારા પૂરતો ડીઝલનો જથ્થો હોવા છતાં ખેડૂતોને આપવાના બદલે ધક્કા ખવડાવવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. પોતાની ખેતી બચાવવા માટે મોડી રાત્રિથી જ ખેડૂતો ડીઝલ લેવા માટે પંપ પર લાંબી કતારો લગાવીને ઉભા રહ્યા હતા, પરંતુ પંપના સ્ટાફ દ્વારા તેમની સાથે અત્યંત અવિવેકી વર્તન કરવામાં આવ્યું હતું.
સિક્યુરિટી ગાર્ડે આપી ધમકી
આ મુશ્કેલી વચ્ચે પંપ પર હાજર સિક્યુરિટી ગાર્ડે ખેડૂતો સાથે ખુલ્લેઆમ દાદાગીરી અને ઉદ્ધત વર્તન કર્યું હતું. ગાર્ડે ખેડૂતોને ડરાવવાના આશયથી "મારો ગુનાહિત ઈતિહાસ છે, હું કોઈનાથી ડરતો નથી" તેમ કહીને સીધી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ થયો છે. ખેડૂતોનો દાવો છે કે પંપ સંચાલક સામાન્ય ખેડૂતોને હેરાન કરીને પોતાના મળતિયાઓને પાછલા બારણેથી ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડી રહ્યા છે. પૈસા કમાવવાની લ્હાયમાં પંપ તંત્ર તમામ નિયમો અને વિવેક ભૂલી ગયું હોય તેમ લાગી રહ્યું છે.
