ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પાટણ જિલ્લા ના રાધનપુર સહિત અન્ય તાલુકામાં આવેલી સ્ટેશનરી દુકાનોમાં ધો.3 થી 8 નાં પાઠયપુસ્તકો પૂરતા ઉપલબ્ધ નહીં હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.વાલીઓ પાઠય પુસ્તકો ખરીદવા માટે બજારમાં આવે છે, પરંતુ અધૂરા પુસ્તકો લઈ જવા પડી રહ્યા છે. રાધનપુર બજારમાં પાઠય પુસ્તકો ખરીદવા આવેલ વિધાર્થી ના વાલીએ જણાવ્યું હતું કે, હું પ્રાથમિક વિભાગના પાઠય પુસ્તકો ખરીદવા બજારમાં આવ્યો હતો.
પરંતુ પાઠયપુસ્તક ની તમામ દુકાનોમાં ફરવા છતાં પૂરતા પાઠય પુસ્તકો મળ્યા નહીં. સ્કૂલમાં શિક્ષકો બાળકોને પાઠય પુસ્તકો લઈને આવવાનું કહે છે, પરંતુ બજારમાં પાઠય પુસ્તકો ઉપલબ્ધ નથી. ત્યારે અમારે શુ કરવું? સરકાર તરફ્થી તાત્કાલિક પાઠય પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જ્યારે રાધનપુર પાઠયપુસ્તકની દુકાન ધરાવતા એક વેપારીએ જણાવ્યું હતું કે હાલ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ 3 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના વાલીઓ દુકાન પર પાઠયપુસ્તકની ખરીદી કરવા માટે આવી રહ્યા છે પરંતુ હાલ પૂરતા પાઠય પુસ્તકો ઉપલબ્ધ નહીં હોવાથી માત્ર વાલીઓ જ નહીં પણ વેપારીઓ પણ પરેશાન છે.










