પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે રામબાઈ માતાજીનો 13મો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. જે અંતર્ગત ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેમજ રાત્રે સંતવાણી સહિત રાસગરબાની રમઝટ બોલાવી હતી.
વામૈયામાં સુપ્રસિધ્ધ રામબાઈ માતાજીના મંદિરે 13માં પાટોત્સવ નિમિત્તે રાત્રે સંતવાણી કાર્યક્રમ તેમજ રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ડીજેના તાલ સાથે મંદિરેથી બગીમાં માતાજીના ફોટા સાથે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે સમગ્ર ગામમાં ફરી મંદિર પરત ફરી હતી. શોભાયાત્રામાં ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી આવેલા ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. તેમજ માતાજીના મંદિરે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતે ભોજન પ્રસાદ લઈ લોકોએ ધન્યતા અનુભવી હતી. યોજાયેલ પાટોત્સવ પ્રસંગે રામબાઈ માતાજીના ભુવાજી ધાર પરમાર વિક્રમસિંહ હાલુસિંહ તેમજ ગ્રામજનો અને રામબાઈ માં યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને સફ્ળ બનાવ્યો હતો અને માતાજીનો પ્રસંગ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.










