ગાંધીભૂમિ પોરબંદરમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યો છે કે હવે નાગરિકો માટે રસ્તા પર નીકળવું પણ જોખમી બન્યું છે. પોરબંદરના વ્યસ્ત ગણાતા છાયા રોડ પર આજે ધોળા દિવસે બે મદાંધ આખલાઓ વચ્ચે ભયાનક લડાઈ (આખલા યુદ્ધ) જોવા મળી હતી. જાહેર માર્ગની મધ્યમાં જ બંને આખલાઓ એકબીજા શિંગડા ભરાવીને આક્રમક રીતે બાખડ્યા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

ભીષણ લડાઈથી હાઈવે પર ટ્રાફિક જામ, લોકો જીવ બચાવવા ભાગ્યા

છાયા રોડ પર જે સમયે આ આખલાઓ આપસમાં લડી રહ્યા હતા, તે સમયે ત્યાં વાહનોની ભારે અવરજવર હતી. બંને આખલાઓ લડતા-લડતા રસ્તાની વચ્ચેથી દુકાનો અને વાહનો તરફ ધસી જતા હતા, જેથી અનેક વાહનચાલકો પોતાના વાહનો ત્યાં જ ઉભા રાખીને જીવ બચાવવા આસપાસની દુકાનોમાં ભરાઈ ગયા હતા. આ આખલા યુદ્ધને કારણે રોડની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ લાકડીઓ અને પાણીનો મારો ચલાવીને મહામેહેનતે બંને આખલાઓને છૂટા પાડ્યા હતા.

લોકોએ જીવ ગુમાવ્યા છતાં પોરબંદર પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં

સ્થાનિક લોકોનો આક્રોશ છે કે પોરબંદર મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર શહેરમાં રખડતા પશુઓ અને આખલાઓ પર નિયંત્રણ મેળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. પોરબંદરમાં આ કોઈ પહેલી ઘટના નથી, આ પૂર્વે પણ અનેક વિસ્તારોમાં આખલા યુદ્ધના કારણે કેટલાય નિર્દોષ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કેટલાક વડીલો અને બાળકોએ તો રખડતા ઢોરની અડફેટે આવીને પોતાના જીવ પણ ગુમાવ્યા છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો