રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર અને ભાવસિંહજી સરકારી હોસ્પિટલ દ્વારા પૂરતી તકેદારી અને પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હોસ્પિટલના એમ.એસ. ડો. ગૌરવ ભંભાણીના જણાવ્યા અનુસાર, ઉચ્ચ કક્ષાએથી મળેલી માર્ગદર્શિકા મુજબ દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી વયના બાળકોને વધુ અસર કરતો હોવાથી હોસ્પિટલના પીડિયાટ્રિક (બાળરોગ) વોર્ડમાં 6 વિશિષ્ટ આઈસીયુ (ICU) બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. દરેક બેડ પર ડાયરેક્ટ ઓક્સિજન લાઈન, મલ્ટિપેરા મોનિટર અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ઈમરજન્સી દવાઓ અને જરૂરી સાધનોનો પૂરતો જથ્થો પણ ફાળવી દેવાયો છે.

આ વાયરસ સેન્ડફ્લાય (રેત માખી) દ્વારા ફેલાતો હોવાથી ચોમાસાની ઋતુમાં ઘરની ભીની દીવાલો અને તિરાડો પર ખાસ ધ્યાન આપવા અપીલ કરાઈ છે. સ્થાનિક પાલિકાના સહયોગથી વિવિધ વિસ્તારોમાં જંતુનાશક પાવડર અને દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.હાલ પોરબંદરમાં ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નોંધાયો નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો