પોરબંદર શહેરમાં આવેલા માણેકચોક વિસ્તારમાં એક અત્યંત અનોખું અને ઐતિહાસિક ગણેશ મંદિર આવેલું છે. સામાન્ય રીતે મંદિરો ભોંયતળિયે અથવા પહેલા માળે હોય છે, પરંતુ અહીં વિઘ્નહર્તા ગણેશજી છેક ત્રીજા માળે રવેશમાં (ગેલેરીમાં) બિરાજમાન છે. સૌથી વિશેષ વાત એ છે કે, ભક્તોને દાદાના દર્શન કરવા માટે નીચે આવેલી એક દુકાનમાંથી પસાર થઈને જવું પડે છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે આ ઐતિહાસિક મંદિરે દર્શનાર્થીઓ ઉમટયા હતા. આ અનોખી જગ્યાએ ગણેશજીની સ્થાપના પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે. એક સદીથી પણ વધુ સમય પહેલાં એટલે કે વર્ષ 1911માં ભાટિયા જ્ઞાતિના માણેકબાઈ નામની મહિલાએ કીર્તિમંદિર પાસે આવેલી પુષ્ટિમાર્ગીય શ્રીનાથજીની હવેલીમાં એક 'લોટી' ઉત્સવનું આયોજન કર્યું હતું. તે સમયે હાલ જ્યાં ગાંધીજીની પ્રતિમા છે તે આખા ચોકને જ મંડપનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
