રાજકોટના રૈયાધાર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શેરડીના ચિચોડા બાબતે થયેલા વિવાદમાં હમીર ભરવાડ અને તેના સાગરીતોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભાવેશ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે રૈયાધાર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.

સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત ભાવેશનું મોત

મૃતક ભાવેશ અને આરોપી હમીર ભરવાડ વચ્ચે શેરડીના ચિચોડા લગાવવા અથવા તેના સંચાલન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદે જોતજોતામાં મોટું સ્વરૂપ લીધું હતું અને આરોપી હમીર ભરવાડે તેના સાગરીતો સાથે મળીને ભાવેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ભાવેશને બેફામ માર મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

હત્યાના આ ગંભીર બનાવને લઈને DCP ઝોન-2 દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, યુવકના મોત બાદ આ કેસમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી હમીર ભરવાડ અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ પોલીસે ખાતરી આપી છે કે ગુનેગારો ગમે તેટલા વગદાર હોય, તેમને વહેલી તકે દબોચી લેવામાં આવશે. હાલમાં રૈયાધાર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો