રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે, ત્યારે વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. આ વખતે બહારના નહીં, પરંતુ પારિવારિક સંબંધોમાં જ લોહી વહ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના કોઠારિયા હુડકો વિસ્તારમાં એક પારિવારિક ઝઘડાના પગલે 42 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી છે.


રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ 

મૃતકનું નામ નરેશ વ્યાસ હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વિગત એ છે કે નરેશ વ્યાસની હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેમની પત્ની અને બે પુત્રોએ મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ ગંભીર ઘટના બની હતી.હત્યાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે તાત્કાલિક DCP ક્રાઈમ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પત્ની અને બે પુત્રોની પોલીસે કરી અટકાયત

આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યા કરનાર પત્ની અને તેમના બે સંતાનોની તાત્કાલિક અટકાયત કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા આ હત્યાનું ખરું અને ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર પારિવારિક સંબંધોમાં વધી રહેલી હિંસા તરફ ગંભીર ઈશારો કર્યો છે.

  • Follow us on: