સૌરાષ્ટ્રમાં કુદરતનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના વીંછીયા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદની સાથે ભારે પવન અને કરા પડતા સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભર ઉનાળે વરસેલા આ કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.

ખેતરો બન્યા બેટ, પાકને વ્યાપક નુકસાન

વીંછીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર એટલું વધારે હતું કે, અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખેતરો પાણીમાં ગરકાવ થતા ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પવનના સુસવાટા અને કરાના મારને કારણે તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

ખેડૂતોમાં ચિંતા અને લાચારી

અગાઉ રાજકોટ, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ પડ્યા બાદ હવે વીંછીયામાં પણ મેઘરાજાએ કહેર મચાવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે. એકતરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ આ આકાશી આફતને કારણે જગતનો તાત અત્યારે લાચારી અનુભવી રહ્યો છે.


આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં મિની વાવાઝોડું ત્રાટક્યું,ધૂળની ડમરીઓ સાથે વરસાદની તોફાની બેટિંગ